આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહીસાગર નદીના લાલપુરા કિનારે નાહવા પડેલા બાજીપુરા ગામના એક આશાસ્પદ યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યુવકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
બાજીપુરાના મહેશકુમારનું મોત નીપજયું
મળતી માહિતી મુજબ, બાજીપુરાનો રહેવાસી મહેશકુમાર નામનો યુવક લાલપુરા નજીક વહેતી મહીસાગર નદીમાં નાહવા માટે ગયો હતો. નાહતી વખતે અચાનક પગ લપસતાં અથવા પાણીના પ્રવાહનો અંદાજ ન આવતાં યુવક નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતાં આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના તરવૈયાઓએ નદીના ઊંડા પાણીમાં ભારે શોધખોળ આદરી હતી અને અંતે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.













