અરવલ્લીના મેઘરજ તાલુકાના સીસોદર (અદાપુર) ગામમાંથી સ્થાનિક તંત્રની બેદરકારી અને ગ્રામજનોના જીવના જોખમ સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીસોદર ગામમાં આવેલી પીવાના પાણીની ટાંકી જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આશરે 20થી 25 વર્ષ જેટલી જૂની આ પાણીની ટાંકીના સ્લેબ અને દિવાલોમાંથી સિમેન્ટ-કોંક્રિટ ઉખડી ગયું છે અને અંદર ફિટ કરેલા લોખંડના મજબૂત સળિયા પણ હવે ખુલ્લેઆમ બહાર દેખાઈ રહ્યા છે. ટાંકીની આવી ભયાનક સ્થિતિ જોઈને સ્થાનિક રહીશો સતત ફફડાટ અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.


પિલ્લર ઝૂલ્યા અને સીડીઓ તૂટી, લોકોમાં ભારે આક્રોશ

ગામના લોકોના જણાવ્યા અનુસાર આ ટાંકી ટેકનિકલ દ્રષ્ટિએ સાવ નકામી અને જોખમી બની ચૂકી છે. ટાંકીના ઉપરના ભાગને ટેકો આપતા પિલ્લર પણ એકતરફ નમીને ઝૂલતા દેખાઈ રહ્યા છે. ટાંકી પર ચડવા માટે બનાવવામાં આવેલી સિમેન્ટની સીડીઓ પણ જર્જરિત થઈ ગઈ છે. આ જોખમી ટાંકી ગામના પંચાયત ઘર કે અવાવરૂ જગ્યાએ નહીં, પરંતુ ગામના મુખ્ય ચોક અને અવરજવર વાળા મુખ્ય માર્ગની બિલકુલ વચ્ચે આવેલી છે. આ રસ્તા પરથી નાના બાળકો, પશુઓ અને અસંખ્ય વાહનચાલકો પસાર થાય છે, જેથી ટાંકી ગમે ત્યારે તૂટી પડે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના છે.

જૂની ટાંકી તોડી નવી બનાવવા ગ્રામજનોની ઉગ્ર માંગ

સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા આ બાબતે અગાઉ પણ તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ચોમાસાની ઋતુ નજીક હોવાથી ભેજના કારણે ટાંકી વધુ નબળી પડીને ધરાશાયી થાય તે પહેલાં વહીવટી તંત્ર જાગે તેવી લોકમાંગ ઉઠી છે. સીસોદર ગામના રહીશોએ નમ્રતાપૂર્વક છતાં મક્કમતાથી માંગ કરી છે કે આ કાળમુખી બની ગયેલી જૂની જર્જરિત ટાંકીને વહેલી તકે ડાઉન કરીને દુર કરવામાં આવે અને ગામના લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે આધુનિક પદ્ધતિથી નવી પાણીની ટાંકીનું ત્વરિત નિર્માણ કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: