અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા પાલ્લા ગામેથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાલ્લા ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મકાનમાં રાખેલી તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે.
અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા
ઘટનાની મળતી માહિતી અનુસાર, પાલ્લા ગામે આવેલા એક ચાલુ મકાનમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, અને જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ જોઈને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ વધુ ઉગ્ર બનતા ગ્રામજનોએ તાત્કાલિક મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી.













