બનાસકાંઠા જિલ્લાના ઓગડ નજીક થરા-શિહોરી હાઇવે પર એક અત્યંત કમકમાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ હાઇવે પર હાલમાં સમારકામ (રોડ રિપેરિંગ) ની કામગીરી ચાલી રહી હોવાને કારણે રસ્તાને એકમાર્ગીય (વન-વે) કરવામાં આવ્યો હતો. આ એક માર્ગીય હાઇવે પરથી પસાર થઈ રહેલા એક બાઈકને પાછળથી આવી રહેલા પૂરપાટ ઝડપે દોડતા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે.


ચાલક ટ્રેલર મૂકી ફરાર, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ગંભીરતા જોઈને ટ્રેલરનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જ્યારે મૃતકના મૃતદેહને પોલીસે કબજે કરીને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો છે.

સાઇન બોર્ડ કે બેરિકેટિંગ વિના ડાયવર્ઝન આપતાં લોકોમાં રોષ

આ દુર્ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં વહીવટી તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે હાઇવે પર સમારકામ ચાલતું હોવા છતાં તંત્ર દ્વારા વાહનચાલકોની સુરક્ષા માટે કોઈ સાઇન બોર્ડ, રેડિયમ સ્ટીકર કે પ્રોપર બેરિકેટિંગ મૂકવામાં આવ્યા નહોતા. આવી ઘોર બેદરકારી વચ્ચે અચાનક ડાયવર્ઝન આપી દેવાને કારણે જ આ અકસ્માત સર્જાયો છે અને એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: