બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી એક અત્યંત ચોંકાવનારી અને લોકો માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. સામાન્ય રીતે કૂતરા કે બિલાડી કરડવાથી હડકવા થતો હોવાનું આપણે સાંભળ્યું છે, પરંતુ અહીં એક નોળિયો કરડવાના દોઢ મહિના બાદ મહિલામાં હડકવાના ઘાતક લક્ષણો દેખાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તબીબી જગતમાં ચકચાર મચી ગઈ છે અને મૃતક મહિલાના પરિવારમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.
રાજસ્થાનની મહિલાને દોઢ મહિના પહેલા એક નોળિયો કરડ્યો
મળતી માહિતી મુજબ, મૂળ પાડોશી રાજ્ય રાજસ્થાનની વતની આ મહિલાને આશરે દોઢ મહિના પહેલા એક નોળિયો કરડ્યો હતો. તે સમયે મહિલાએ બેદરકારી દાખવીને હડકવા વિરોધી રસીનો માત્ર એક જ ડોઝ લીધો હતો અને ત્યાર બાદ કોર્સ અધૂરો છોડી દીધો હતો. દોઢ માસનો સમય વીત્યા બાદ અચાનક મહિલાના શરીરમાં હડકવાના ગંભીર અને ભયજનક લક્ષણો દેખાવા લાગ્યા હતા. તબિયત લથડતાં તેમને તાત્કાલિક બનાસકાંઠાની પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.













