રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા વીઆઈપી સરકારી ભવન સ્વર્ણિમ સંકુલ-1માંથી આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી. સચિવાલય પરિસરમાં આવેલા સ્વર્ણિમ સંકુલ-1 ના બેઝમેન્ટ એરિયામાં સોમવારે અચાનક આગ ફાટી નીકળતાં થોડીવાર માટે મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
AC કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટના કારણે આગ
પ્રાથમિક માહિતી અનુસાર, સ્વર્ણિમ સંકુલ-1ના બેઝમેન્ટમાં રાખવામાં આવેલા સેન્ટ્રલ એસીના કોમ્પ્રેશરમાં કોઈ ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં કોમ્પ્રેશરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થઈ ગયું હતું, જેને પગલે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ અને સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો.













