જામનગર શહેરમાંથી સરકારી કામગીરી દરમિયાન હિંસક હુમલો થવાની એક અત્યંત ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ જ્યારે અંબર ચોકડી પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી કરી રહી હતી, ત્યારે અચાનક મામલો બિચક્યો હતો. દબાણકર્તાઓએ તંત્રની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરીને એસ્ટેટ ટીમના કર્મચારીઓ પર અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. 


ચાર મનપા કર્મચારીઓ ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ

આ અચાનક થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં જામનગર મનપાના 4 કર્મચારીઓને પથ્થરો વાગવાને કારણે માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. મરચાના સ્પ્રે અને પથ્થરમારાને કારણે ચારેય કર્મચારીઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અન્ય સ્ટાફ અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે જામનગરની પ્રખ્યાત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. 

સરકારી ફરજમાં અવરોધ બદલ પોલીસ ફરિયાદની તજવીજ

સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા, કાયદો હાથમાં લેવા અને ફરજ પરના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવા બદલ હુમલાખોરો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એસ્ટેટ વિભાગ દ્વારા આ મામલે હુમલાખોરો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ વિધિ શરૂ કરી છે અને તેમને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: