ખેડાના કપડવંજ ખાતે આવેલી એક કંપનીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટના મામલામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ઘટના બાદ સત્ય સામે લાવવા અને ધડાકો કયા કારણોસર થયો તે જાણવા માટે FSLની વિશેષ ટીમ ઘટનાસ્થળે આવી હતી. FSLના અધિકારીઓ દ્વારા ફેક્ટરી પરિસરમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને વૈજ્ઞાનિક પુરાવા તેમજ કેમિકલના જુદા-જુદા નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે, જેના આધારે બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાશે.


ગોડાઉનમાંથી મળ્યા સ્ફોટક પદાર્થો

આ તપાસ દરમિયાન ફેક્ટરીના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ સ્ફોટક પદાર્થોનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મળી આવેલા ગેરકાયદે કે શંકાસ્પદ સ્ફોટક પદાર્થોના પણ રાસાયણિક નમૂના લીધા છે. વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર આ તમામ સ્ફોટક પદાર્થો જોખમી હોવાથી તેમને સરકારી નિયમોનુસાર સુરક્ષિત જગ્યાએ લઈ જઈને નાશ કરવામાં આવશે. કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે ફેક્ટરી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આખો વિસ્તાર પોલીસના સિક્યોરિટી કવચ હેઠળ રહેશે.

ઇજાગ્રસ્તોની તબિયતમાં આવ્યો સુધારો 

આ ફેક્ટરી બ્લાસ્ટની દુર્ઘટનામાં જે બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જવાથી ઇજાગ્રસ્ત થયા હતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, લાંબી સારવાર બાદ હવે આ બંને ઇજાગ્રસ્તોની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે અને તેમની સ્થિતિ હાલ સ્થિર (આઉટ ઓફ ડેન્જર) છે. ઇજાગ્રસ્તોની હાલત સુધરતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ સત્તાધીશોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ, પોલીસે ફેક્ટરીના માલિકો વિરૂદ્ધ સુરક્ષાના નિયમોના ભંગ બદલ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: