કચ્છ જિલ્લાના નખત્રાણામાંથી શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. નખત્રાણામાં આવેલી પોલીસ લાઈન પ્રાથમિક શાળામાં સુવિધાઓના અભાવે સોમવારના રોજ વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા વાલીઓ દ્વારા એકઠા થઈને શાળાને તાળાબંધી કરી દેવામાં આવી હતી. આ મામલે વાલીઓ દ્વારા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
માત્ર એક જ શિક્ષકના ભરોસે આખી શાળા
વાલીઓના જણાવ્યા અનુસાર, આ સરકારી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી શિક્ષકોની ભારે અછત પ્રવર્તી રહી છે. હાલ પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, સમગ્ર શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. એક જ શિક્ષક તમામ ધોરણના બાળકોને કેવી રીતે ભણાવી શકે તે મોટો સવાલ છે. શિક્ષકોની આ ભયંકર ઘટના કારણે બાળકોના ભવિષ્ય અને શિક્ષણ પર ગંભીર અસરો પડી રહી છે, જેને લઈને વાલીઓમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.

શાળાનું મકાન બન્યું જર્જરિત, અકસ્માતનો ભય
શિક્ષકોની અછતની સાથે સાથે શાળાના ભૌતિક માળખાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આ શાળાનું બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે. ચોમાસાની ઋતુ નજીક છે, ત્યારે આવી જર્જરિત હાલતમાં બાળકોને બેસાડવા તે તેમના જીવનું જોખમ ખેડવા બરાબર છે. વાલીઓનો આરોપ છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા શાળાના સમારકામ કે નવા મકાન માટે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

તંત્ર જાગશે કે બાળકોનું ભવિષ્ય રોળાશે?
નખત્રાણા પોલીસ લાઈન પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દેવાતા શિક્ષણ આલમમાં દોડધામ મચી ગઈ છે. વાલીઓએ સ્પષ્ટ ચિમકી આપી છે કે, જ્યાં સુધી શાળામાં પૂરતા પ્રમાણમાં શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે અને જર્જરિત મકાનનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહીં. આ સાથે શાળામાં લાગેલું તાળું પણ ખોલવા દેવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહે છે કે, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું શિક્ષણ વિભાગ આ મામલે ક્યારે જાગે છે.
આ પણ વાંચો - Kutch: ગાંધીધામના ખારી રોહરમાં મોડી રાત્રે તંત્રએ ધાર્મિક દબાણ હટાવ્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત