મહેસાણા જિલ્લાના વિસનગરમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની ઝુંબેશ એક મોટા વિવાદમાં સપડાઈ છે. વિસનગરના વિજાપુર રોડ પર આવેલી અમથેર સોસાયટી નજીક તંત્રના બુલડોઝરો ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે પહોંચ્યા હતા. પરંતુ આ કામગીરી દરમિયાન સ્થાનિક રહીશો અને ખાસ કરીને દેવીપૂજક સમાજના લોકો દ્વારા તંત્રની નીતિ અને કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવી ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ વિવાદાસ્પદ તોડફોડને કારણે સ્થાનિક લોકોમાં તંત્ર વિરૂદ્ધ તીવ્ર આક્રોશ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.


નોટિસ સર્વે નંબર 2236ની હતી અને મકાનો 2252ના તોડ્યા!

લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા સરેઆમ બેદરકારી દાખવીને ખોટા સર્વે નંબર પર તોડફોડની કાયર્વાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા અગાઉ જે દબાણ હટાવવાની સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી, તે સર્વે નંબર 2236 માટેની હતી. જ્યારે અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓએ આ નોટિસનો દુરુપયોગ કરીને અથવા ભૂલથી બાજુમાં આવેલા સર્વે નંબર 2252 પરના ગરીબ લોકોના કાયદેસરના રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ ગેરસમજ કે બેદરકારીના કારણે અનેક પરિવારોના આશરા છીનવાઈ ગયા છે અને તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

તટસ્થ તપાસ કરી પીડિતોને ન્યાય આપવા ઉગ્ર માંગ

આ અન્યાયી કાર્યવાહીને પગલે દેવીપૂજક સમાજના અગ્રણીઓ અને ભોગ બનનાર પરિવારોએ એકત્રિત થઈને આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. પીડિતોની માંગ છે કે કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વિના, ખોટી રીતે અને ઉતાવળમાં આટલી મોટી કાર્યવાહી કરનાર જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે. આ સાથે જ, જેમણે પોતાના પાકા ઘર ગુમાવ્યા છે તેવા નિર્દોષ પરિવારોને યોગ્ય વળતર મળે અને ન્યાય અપાવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: