મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના કામ સામે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. અગાઉ કૃષિ મંત્રી અને ઉચ્ચ સરકારી અધિકારીઓએ ખેડૂતોને આ કામ બંધ રાખવા માટે ખાતરી આપી હતી, પરંતુ આ ખાતરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. ગામમાં એક તરફ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, તો બીજી તરફ તમામ નિયમોને નેવે મૂકીને ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરી ધમધમાટ ચાલુ રાખવામાં આવી છે.
ઉપવાસી ખેડૂતના ખેતરમાં જ નખાયા પોલ
આ વિરોધ પ્રદર્શનમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, વીજ કંપનીના વિરોધમાં ઉપવાસ છાવણી પર બેઠેલા ખેડૂત નેહુલભાઈ અમૃતિયાના પોતાના ખેતરમાં જ કંપની દ્વારા બળજબરીપૂર્વક પોલ ઊભા કરવાનું કામ શરૂ કરી દેવાયું છે. એટલું જ નહીં, ભારે મશીનરી લાવીને પોલ ઊભા કરવા માટે આખા ખેતરની અંદર મેટલ નાંખીને આખો રોડ બનાવી દેવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતની ઉપજાઉ જમીનને મોટું નુકસાન થયું છે.













