જસદણના મુખ્ય વેપારી વિસ્તાર ગણાતા છત્રી બજારની થોળેશ્વર શેરીમાં એક હડકાયા શ્વાને એક યુવક પર હિંસક હુમલો કરી દીધો હતો. શેરીમાંથી પસાર થઈ રહેલા વસીમભાઈ યુસુફભાઈ પરીયાણી નામના સ્થાનિક યુવકને શ્વાને ચારેય તરફથી ઘેરી લીધો હતો અને શરીરના અલગ-અલગ ભાગો પર એક-બે નહીં પરંતુ પૂરા 10 જગ્યાએ આડેધડ ઘાતકી બચકા ભરી લીધા હતા. આ સમગ્ર હૃદયધબકાવી દેનારી ઘટનાના લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં શ્વાન યુવકને ફાડી ખાતો સ્પષ્ટ દેખાય છે.


છેલ્લા 15 દિવસથી ત્રાસ, બાળકોમાં ભારે ભય

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વસીમભાઈ પરીયાણીને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યા હતા અને તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી 3 થી 4 હડકાયા શ્વાનનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. શ્વાનના સતત આતંક અને ડરના માર્યા નાના બાળકો અને વૃદ્ધોએ ઘરની બહાર નીકળવાનું સાવ બંધ કરી દીધું છે. સમગ્ર છત્રી બજાર પંથકમાં હાલ ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોનો આક્રોશ

સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે આ જોખમી શ્વાનો અંગે જસદણ નગરપાલિકાના તંત્રને થોડા સમય પહેલાં જ લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હતી. આમ છતાં, પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી, જેના પરિણામે આજે એક નિર્દોષ યુવક તેનો ભોગ બન્યો છે. રહીશોએ ઉગ્ર માંગ કરી છે કે તંત્ર દ્વારા વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે આ 3 થી 4 હડકાયા શ્વાનને પકડી પાંજરે પૂરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

  • Follow us on: