આગામી મોહરમ તહેવારની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ આશય સાથે લખતર તાલુકાના સાકર ગામે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાકર ગામના સુપ્રસિદ્ધ શક્તિમાતાજી મંદિર પરિસર ખાતે આ શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી, જેમાં ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પોલીસ પ્રશાસન દ્વારા માર્ગદર્શન અને ભાઈચારાના પ્રયાસો
આ વિશેષ બેઠક લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. લખતર પોલીસ દ્વારા આયોજિત આ બેઠકમાં ઉપસ્થિત તમામ નાગરિકોને તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ પરસ્પર ભાઈચારો અને કોમી એકતા વધુ મજબૂત બને તે દિશામાં સરાહનીય પ્રયાસો કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
બંને સમુદાયના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ
આ બેઠકમાં આગામી તાજીયા જુલુસના આયોજકો સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં એકસાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે અલીભાઈ રાણાભાઇ બેલીમ, શાબુદિનભાઈ ગુલાબભાઈ, પૂર્વ સરપંચ ભૂપતભાઈ, નવધનભાઈ વિરમભાઇ તેમજ વર્તમાન સરપંચ નાગરભાઈ સહિતના અગ્રણીઓએ હાજરી આપીને તહેવારને શાંતિપૂર્વક સંપન્ન કરવા માટે વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.
કોમી એકતાનું અનોખું ઉદાહરણ
અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધર્મના પવિત્ર શક્તિમાતાજીના મંદિર પરિસરમાં મોહરમ જેવા તહેવાર માટે હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ તંત્રની સંયુક્ત બેઠક યોજાવી, તે સાકર ગામની વર્ષો જૂની ભાઈચારાની સંસ્કૃતિ અને ભવ્ય પરંપરાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો - Surendranagar: દસાડા - બહુચરાજી હાઈવે પર કાર-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મોત, 2ને ઈજા