ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા કાજરડી ગામ નજીકથી એક અત્યંત ચોંકાવનારો અને અરેરાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાજરડી ગામની સીમમાં આવેલા એક આશરે 17 ફૂટ ઊંડા પડતર કૂવામાંથી એક અજાણ્યું હાડપિંજર મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કૂવામાંથી માનવ અવશેષો દેખાતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને આ અંગેની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ ગુમ થયેલા વ્યક્તિઓના પરિવારોને કરવામાં આવી હતી.


7 મહિનાથી લાપતા ઝીણાભાઈ સોલંકી તરીકે ઓળખ થઈ

કાજરડી ગામે રહેતા 55 વર્ષીય આધેડ ઝીણાભાઈ કાળાભાઈ સોલંકી છેલ્લા 7 મહિનાથી ભેદી સંજોગોમાં ગુમ હતા. પરિવારજનો દ્વારા છેલ્લા સાત મહિનાથી તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગતો ન હતો. આજે આ 17 ફૂટ ઊંડા પડતર કૂવામાંથી હાડપિંજર મળી આવતાં જ ઝીણાભાઈના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કપડાં અને અન્ય બાબતોના આધારે પરિવારે આ હાડપિંજર 7 મહિનાથી ગુમ થયેલા ઝીણાભાઈ સોલંકીનું જ હોવાની પુષ્ટિ કરી ઓળખ કરી હતી. આ ઓળખ થતાં જ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કૂવામાંથી હાડપિંજર સ્વરૂપે મળેલા મૃતદેહને બહાર કઢાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોની હાજરીમાં આ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઝીણાભાઈ કૂવામાં કેવી રીતે પડ્યા, આ અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી તેમની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દેવામાં આવી હતી, તે તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે ઉના પોલીસે ગુનો નોંધીને અલગ-અલગ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: