ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોની ભૂમિ જૂનાગઢમાંથી વન્યજીવ પ્રેમીઓને હચમચાવી નાખે તેવા એક સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ શહેરમાં બે દિવસ પહેલાં નિર્મમ રીતે કરવામાં આવેલી સિંહબાળની હત્યાનો ભેદ વન વિભાગે ઉકેલી નાખ્યો છે. સિંહબાળની હત્યા કરીને નાસતા ફરતા મુખ્ય આરોપીને વન વિભાગની ટીમે સચોટ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
માસૂમ સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો
મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલાં જૂનાગઢની વાણંદ સોસાયટી વિસ્તારમાંથી એક માસૂમ સિંહબાળનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જ આ સિંહબાળનું કુદરતી મોત નહીં, પરંતુ કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
હત્યા બાદ આરોપી થયો હતો ફરાર
આ નરાધમ કૃત્યને અંજામ આપ્યા બાદ પકડાઈ જવાની બીકે આરોપી વન વિભાગને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. જોકે, વન વિભાગે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે વન વિભાગને આ ગુનેગારને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. હાલમાં વન વિભાગની ટીમ આરોપીની અટકાયત કરીને તેને આગળની કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ માટે જૂનાગઢ લાવી રહી છે.
કડકમાં કડક પગલાં લેવાની તૈયારીઓ
આરોપીએ આ માસૂમ સિંહબાળની હત્યા કયા કારણોસર કરી અને આ ગુનામાં અન્ય કોઈ શિકારી કે શખ્સો સામેલ છે કે નહીં, તે દિશામાં વન વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર