વલસાડ જિલ્લા પોલીસ લાઈન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક હાઈપ્રોફાઈલ વિવાદ સામે આવ્યો છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના કોન્સ્ટેબલ કનકસિંહ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરી નાગરિક પર દાદાગીરી કરવાના ગંભીર આક્ષેપો થયા છે. આ ચકચારી પ્રકરણને 'સંદેશ ન્યૂઝ' દ્વારા અગ્રતાના ધોરણે પ્રસારિત કરવામાં આવ્યું હતું. મીડિયામાં આ અહેવાલ વહેતો થતાં જ વલસાડ જિલ્લા પોલીસ પ્રશાસનમાં મોટો ખળભળાટ મચી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા.


પારડીના યુવકને ઢોર માર માર્યાનો લગાવ્યો આક્ષેપ

ઘટનાની વિગત એવી છે કે, વલસાડના પારડી વિસ્તારમાં રહેતા યોગેશ પટેલ નામના નાગરિકે એલસીબી કોન્સ્ટેબલ કનકસિંહ સામે શારીરિક સતામણી અને મારપીટનો ગંભીર આક્ષેપ કર્યો છે. યોગેશ પટેલના જણાવ્યા મુજબ, કોન્સ્ટેબલે કાયદો હાથમાં લઈને તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને કોઈ પણ સત્તાવાર કારણ વિના તેમને ઢોર માર માર્યો હતો. પીડિત યુવકે ન્યાય માટે મીડિયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી, જેના કારણે આ વિવાદે જોર પકડ્યું હતું.

જિલ્લા પોલીસ વડાએ આપ્યા નિષ્પક્ષ તપાસના આદેશ

'સંદેશ ન્યૂઝ'ના અહેવાલની સીધી અને મોટી અસરના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ વડા (SP) યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. એસપી યુવરાજસિંહ જાડેજાએ આ પ્રકરણમાં તટસ્થતા જળવાઈ રહે તે માટે ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) કક્ષાના ઉચ્ચ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને તપાસના અહેવાલના આધારે દોષિત કર્મચારી સામે કડક ખાતાકીય પગલાં ભરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: