ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા વાવ-થરાદ પંથકના ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ છે. વરસાદના અભાવે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે, ત્યારે સિંચાઈના પાણીની માગ સાથે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વાવ, થરાદ, લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં લાખણીના વાસણા ખાતે આવેલી સુજલામ સુફલામ કેનાલ પર એકત્રિત થયા હતા અને સરકાર સામે મોરચો માંડ્યો હતો.
ઢોલ વગાડી સરકાર સામે નોંધાવ્યો વિરોધ
કેનાલ પર પહોંચેલા ખેડૂતોએ અનોખી રીતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. ધરતીપુત્રોએ ઢોલ વગાડીને સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને સુજલામ સુફલામ કેનાલ પર બેસીને ધરણા પ્રદર્શન યોજ્યું હતું. ખેડૂતોની સ્પષ્ટ માગ છે કે, અત્યારે પાક બચાવવા માટે સિંચાઈના પાણીની સખત જરૂરિયાત છે, તેથી સરકાર તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું પાણી છોડે.













