અમદાવાદમાં ઓઢવ બ્રિજ નીચે ડિટેઈન કરાયેલા વાહનોમાં એકાએક આગ (Fire broke) ભભૂકી ઉઠી હતી, આગ લાગતા 34 જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા હતા. 22 જેટલા ટુ વ્હીલર અને 2 કારમાં આગ લાગી હતી. તેમજ અન્ય લોકોના પાર્ક કરેલા 11 વાહનોમાં પણ આગ પ્રસરી ગઈ હતી. આગ લાગેલા વાહનોની હવે ભરપાઈ કોણ કરશે તેની લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, વહેલી સવારે 7 વાગ્યે ઓઢવ પોલીસ સ્ટેશન સામે બ્રિજની નીચે પાર્ક કરેલ વાહનમાં આગ લાગી હોવાની ફાયર બ્રિગ્રેડને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, આગ કાબૂમાં આવતાં વાહનોને વધુ નુકસાન થતાં અટકાવી શકાયું હોવાનું જાણવા મળેલ છે. સમગ્ર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ લાગવાનું કારણ શોધવા તજવીજ હાથ ધરાઈ છે. હજું સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ટ્રાફિક DCPએ જણાવ્યું કે આ તમામ વાહનો બિનવારસી છે. I ડિવિઝન પોલીસે વાહનો જપ્ત કર્યા હતા.
અંદાજે 2 મહિના અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો એકઠો કરવા માટે બનાવેલ રેફ્યુજી સ્ટેશન નજીક આવેલી ઝૂંપડીઓમાં આગ ફાટી નીકળી હતી, ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે, આ ભીષણ આગમાં 25 જેટલા ઝૂંપડા બળીને રાખ થઈ ગયા હતા. સદનસીબે આગ સમયે ઝૂંપડામાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આ ઝૂંપડીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહનોમાં કામ કરતા મજૂરોની હોવાનું જાણવા મળ્યું હતું. આ કામદારો રેફ્યુજી સ્ટેશન પાસે કામચલાઉ ઝૂંપડીઓમાં રહેતા હતા. આગના સમયે, તમામ કામદારો પોતપોતાના કાર્યસ્થળ પર હતા, જ્યારે તેમના બાળકો શાળામાં હતા. આ કારણે આ ભીષણ આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.આગની ઘટનાની માહિતી મળતા જ એલિસબ્રિજ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અમિત શાહ અને સ્થાનિક ભાજપ કાઉન્સિલર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવી અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.