- શિક્ષકો ગેરહાજર હોવાની વધુ એક ઘટના
- બનાસકાંઠા, ખેડા બાદ મહેસાણામાં ભૂતિયા શિક્ષક
- શિક્ષિકા કવિતા દાસ 9 મહિનાથી વિદેશમાં છે
મહેસાણાના રણછોડપૂરા ગામની શાળાના શિક્ષિકા નવ માસ કરતા વધારે સમયથી ગેરહાજર હોવાનુ સામે આવ્યું છે. કવિતા દાસ નામના શિક્ષિકા છેલ્લા નવ માસથી વિદેશમાં સ્થાયી થયા છે.
કડી તાલુકાના રણછોડપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા કવિતા દાસ છેલ્લા 9 મહિનાથી શાળામાં હાજર રહ્યા નથી. તેઓ 9 મહિનાથી વિદેશમાં સ્થાયી થયા છે. શાળા દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. છેલ્લાં નવ માસથી શિક્ષિકા બહેન રજા ઉપર ઉતરી ગયા છે.
પ્રફુલ પાનસેરિયાએ ભૂતિયા શિક્ષક મુદ્દે નિવેદન આપ્યું
નવસારીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભૂતિયા શિક્ષકો અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવેલ છે કે, જે શિક્ષકો શાળામાં હાજર રહેતા નથી તેવા ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે શાળાઓમાં ઓરડાઓની ઘટ છે તે અંગે પણ માહિતી મંગાવવામાં આવી રહી છે.
નવસારીમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભૂતિયા શિક્ષકો વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં બનાસકાંઠાની પાંચા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિક્ષિકા વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. જેમને રજા દરમિયાનનો કોઈ પગાર ચુકવવામાં આવેલ નથી. તેમજ તેમને આટલી લાંબી રજા અંગે નોટીસ પણ પાઠવવામાં આવેલ છે.
ભૂતિયા શિક્ષકોને લીધે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત
સમગ્ર રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની માહિતી સામે આવી રહી છે. સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વિદેશમાં રહીને પગાર લેતા હોવાનું બહાર આવ્યું છે. અંબાજી બાદ સરહદી વિસ્તારમાં એક શિક્ષિકા કે જેઓ લાંબા સમયથી શાળામાં આવતા નથી અને પગાર ચાલુ છે. થરાદની પ્રા. શાળામાં દર્શનભાઈ નામના શિક્ષક 2 વર્ષથી ગેરહાજર છે. જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર પડી રહી છે. આ શિક્ષક શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર છેલ્લા 2 વર્ષથી ગેરહાજર છે. માહિતી અનુસાર આ શિક્ષક હાલ કેનેડામાં રહે છે. પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈએ થોડા સમય પહેલા વોટ્સએપ કોલ પર વાત કરી હતી. જેમાં દર્શનભાઈએ તેમને કહ્યું હતું કે હું કેનેડા છુ અને હવે હું અહીં જ રહેવાનો છું. હું શાળામાં આવવાનો નથી તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો.