- નર્મદા નદીમાંથી 2,05,000 ક્યુસેક પાણી છોડાયું
- નર્મદા ડેમની હાલની સપાટી 134.60 મીટર
- નર્મદા, વડોદરા, ભરૂચના કાંઠાના ગામોને એલર્ટ કરાયાં
નર્મદા જિલ્લાના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં 1,85,981 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમના 5 ની જગ્યાએ 10 દરવાજા ખોલાયા છે. નર્મદા નદીમાં કુલ 2,05,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમ ની હાલ ની સપાટી 134.60 મીટરે
ફરી નર્મદા વડોદરા અને ભરૂચ ના કાંઠા વિસ્તાર ના ગામો ને એલર્ટ કરાયા છે. આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસ્યો છે. તાપીના સોનગઢમાં સાડાઆઠ ઈંચ વરસાદ ખાબકતાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેથી ઝાંખરી નદી ગાંડીતૂર બની છે. તો ડાંગના વાઘઈમાં પોણાઆઠ ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બીજી તરફ ડાંગમાં ભારે વરસાદથી નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અંબિકા નદી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી છે, જેથી ગોલગામ સંપર્ક વિહોણું બન્યુ છે. તેમજ ગણદેવીનાં 16 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તો પૂર્ણા નદી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી છે. આ વચ્ચે અંબિકા નદીનાં પાણીના પ્રવાહમાં બે ટ્રક તણાઈ હતી. સાથે જ રેતી કાઢવા આવેલા 10 લોકો ફસાઈ ગયા હતા. જેને પગલે તેમના જીવ જોખમમાં મુકાયા હતા.
વડોદરામાં 25 ગામોના નાગરિકોને સતર્ક કરાયા
ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી સોમવારે સાંજના 4.30 કલાકે સરદાર સરોવર બંધનાં 10 દરવાજા 1.90 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 1,70,000 ક્યુસેક પાણી વહેશે. જેના કારણે જિલ્લા પ્રશાસન દ્વારા વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.