• 3-4 ડિસેમ્બરે માવઠાની આગાહી

  • જંતુનાશકોનો ઉપયોગ હાલપૂરતો ટાળવાની અપીલ
  • કમોસમી વરસાદની છે સંભાવના

ગુજરાતમાં આગામી 3-4 ડિસેમ્બરના રોજ ફરીથી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર તા. 3 અને 4 ડિસેમ્બરે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ 10 જિલ્લાઓમાં પવન સાથે હળવો વરસાદ થવાની શક્યતા દર્શાવાઈ છે. ત્યારે આ દિવસોમાં ખેડૂતો અને એપીએમસી માટે એક નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

માવઠાના દિવસોમાં સૌથી વધુ ચિંતિત રાજ્યના ખેડૂતો હોય છે. આસમાનમાંથી વરસતો કમોસમી વરસાદ તેમના તૈયાર થવા આવેલા પાક માટે ઘણીવાર હાનિકારક નીવડતો હોય છે અને ખેડૂતોની લાંબાગાળાની મહેનત પર અમુક કલાકોની જ અંદર પાણી ફેરવી નાંખતો હોય છે. જેથી ખેડૂતો તકેદારીના પગલા લેવા સતર્ક બને છે. આમ છતાં આવા દિવસોમાં રાજ્યના ખેડૂતો અને APMCના વેપારીઓ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા કેવા પ્રકારના પગલા લેવા જોઈએ તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

આ સૂચનોમાં માવઠાના કમોસમી વરસાદની પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોને પાક, ખેતરમાં કાપણી કરી પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી જોઈએ અને આ ઉપરાંત પ્લાસ્ટિક-તાડપત્રીથી તેમની જણસોને યોગ્ય રીતે ઢાંકી દેવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવાનું સૂચન પણ કરાયું છે. જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે અને જણસોને નુકસાન ન થાય.

આ ઉપરાંત આ દિવસોમાં જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ માવઠા અને કમોસમી વરસાદના સમયગાળા પૂરતો ટાળવાની ભલામણ કરાઈ છે. જેનાથી ખાતર-બિયારણના વિક્રેતાઓએ જથ્થો ભીંજાય નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવાનું કહેવાયું છે. આની સાથે સાથે જ માર્કેટિંગ યાર્ડ અને રાજ્યભરની APMCમાં વિક્રેતાઓ અને ખેડૂતોએ કાળજી રાખી સાવચેતી માટે આગોતરું આયોજન કરવાનું કહેવાયું છે. APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તેમજ વેચાણ અર્થે આવતી જણસોને હાલપૂરતી અટકાવી તેમને સુરક્ષિત કરવાની ભલામણ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ અંગે વિશેષ માહિતી માટે ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક,KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - 18001801551નો સંપર્ક કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા લોકોને ભલામણ કરીને કહેવામાં આવ્યું છે. 

  • Follow us on: