ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક ફાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી જેવા અગત્યના વિષયને વિધાનસભામાં સ્થાન મળવું ગૌરવની બાબત છે.રાજ્યપાલએ જૈવિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે જૈવિક ખેતીમાં મોટા પ્રમાણમાં છાણિયા ખાતરની જરૂર પડે છે,જ્યારે પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મજીવ આધારિત પદ્ધતિ છે.


વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી

તેમણે ચિંતા વ્યક્ત કરી કે રાસાયણિક ખેતીના કારણે માનવ આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે અને આજે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા રોગોમાં વધારો જોવા મળે છે.હરિત ક્રાંતિ સમયે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૨ થી ૨.૫ ટકા હતો, જે હાલમાં ઘટીને ૦.૫ ટકા કરતાં પણ ઓછો થયો છે. ઓર્ગેનિક કાર્બન ઘટવાથી જમીન કઠોર બને છે અને વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયા જમીનમાં કુદરતી છિદ્રો બનાવી પાણી સંચયમાં મદદરૂપ બને છે.

ડીએપી સબસિડી પર દેશનો વિશાળ ખર્ચ

રાજ્યપાલે ઉલ્લેખ કર્યો કે યૂરિયા અને ડીએપી સબસિડી પર દેશનો વિશાળ ખર્ચ થાય છે.જો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો આ ખર્ચમાં ઘટાડો શક્ય છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અમલમાં આવ્યું છે અને ગુજરાતમાં ૮ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીને આરોગ્ય અને પર્યાવરણ માટે અનિવાર્ય ગણાવી ‘બેક ટુ બેઝિક’ મંત્રનો ઉલ્લેખ કર્યો. તેમણે દરેક જનપ્રતિનિધિને પોતાના વિસ્તારમાં ઓછામાં ઓછું એક ‘પ્રાકૃતિક ગામ’ વિકસાવવા આહવાન કર્યું. પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે, યોગ્ય પ્લાનિંગ સાથે જવાનોની ભરતી કરો: હાઈકોર્ટ



  • Follow us on: