નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) બોટાદની યાદી જણાવે છે કે બોટાદ જિલ્લાના ચારેય તાલુકામાં રાસાયણીક ખાતરના વિક્રેતાઓ જેવા કે સહકારી મંડળીઓ, જી.એન.એફ.સી. અને જી.એસ.એફ.સીના ડેપો તથા એ.બી.સી., એ.એસ.સી અને પ્રાઇવેટ વિક્રેતાઓ પાસે યુરીયા, નેનો યુરિયા, ડી.એ.પી, પોટાશ(એમ.ઓ.પી‌), એન.પી.કે ખાતરો, એમોનિયમ સલ્ફેટ તથા એસ.એસ.પી ખાતરનો જથ્થો હાલમાં પ્લાન મુજબ ઉપલબ્ધ થઇ રહ્યો છે.


મોટાભાગના ખેડૂતો એ પાયાના ખાતરની ખરીદી પણ કરી લીધી

ચાલુ ખરીફ સિઝનમાં જિલ્લામાં અંદાજે કપાસ, મગફળી,તલ,તથા ઘાસચારો તેમજ અન્ય પાકો થઇ ને કુલ ૧,૮૨,૦૦૦ હેક્ટર વાવેતર થવાનો અંદાજ છે, ગયા વર્ષે આ સમયે આટલું જ વાવેતર થયું હતું તેમ છતા ખાતરની કોઇ શોર્ટેજ હતી નહીં તેમજ આ વર્ષે મોટાભાગના ખેડૂતો એ પાયાના ખાતરની ખરીદી પણ કરી લીધી છે. હવે પછી વાવેતર મુજબ જરૂરી ખાતરનો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ થઇ રહ્યો છે. તેમજ વધુ વરસાદના લીધે ટ્રાન્સપોર્ટમાં વિલંબ થવાથી જો ખાતરની કોઇ શોર્ટે જ થાય તો વિક્રેતાઓ ખેડૂતોને ખાતર સાથે અન્ય કોઈ પ્રોડક્ટ લેવા ફરજ પાડી શકશે નહીં.

હાલમાં ૪૫થી ૫૦ દિવસનો કપાસ થઇ ગયો છે

વધુમાં ખેડૂત મિત્રોને જણાવવાનું કે હાલમાં ૪૫થી ૫૦ દિવસનો કપાસ થઇ ગયો હોય ફોસ્ફેટિક ખાતરનો બીજો ડોઝ પણ આપી શકો છો, તેમજ નેનો ટેકનોલોજીયુક્ત નેનો યુરીયા અને નેનો ડી.એ.પી ખુબ જ ઉપયોગી ખાતરો છે અને તેના પરિણામો સારા મળે છે, આથી તેનો પણ ઉપયોગ કરવા ભલામણ છે, તેમજ પ્રાકૃતિક ખેતીનો પણ જિલ્લામાં વ્યાપ વધારવાનો હોય કેમિકલનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક ખેતીના આયામોનો ઉપયોગ કરવા ખાસ ભલામણ છે.

સરકાર પાસે ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે

વધુમાં બોટાદ જિલ્લાના ખાતર વિતરક સંસ્થાઓને અને ખેડૂતોને જણાવવામાં આવે છે કે, સરકાર પાસે ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે કોઈ અફવાથી ભરમાવવું નહીં. તેમજ ચાલુ વર્ષના સપ્લાય પ્લાન મુજબ અવિરત પણે જિલ્લાને જથ્થો મળી રહ્યો છે. ખેડૂતમિત્રો આ અંગે કોઇ ફરિયાદ હોય તો તાત્કાલીક કચેરીના (૦૨૮૪૯)૨૭૧૩૪૬ ટેલીફોન નંબર પર સંપર્ક કરી શકે છે તેમ નાયબ ખેતી નિયામક (વિ.), બોટાદ દ્વારા જણાવવામાં આવે છે. 

  • Follow us on: