મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું,તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
તેમણે ઉમેર્યું હતું કે,કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ.10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી.રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદા પણ રાજ્ય સરકારે સાત દિવસ સુધી વધારી છે.













