ગુજરાતમાં આ વખતે સો ટકાથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે સુરત જિલ્લામાં કેળા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વેપારીઓ અને દલાલોની મીલીભગતને કારણે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. કેળાનો એક કિલોનો બજાર ભાવ 30થી 40 રૂપિયા વસૂલાય છે પણ ખેડૂતોને માત્ર ત્રણ કે ચાર રૂપિયા જ મળે છે. ખેતરમાં કેળાનો પાક બગડી રહ્યો છે છતાં કોઈ વેપારી ખરીદવા માટે તૈયાર નથી.


ભાવ 350 રૂપિયા મણથી 60થી 70 રૂપિયા મણ થઇ ગયા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગીજરમ ગામના યુવા ખેડૂત યશ પ્રજાપતિ કેળાની ખેતી કરે છે. ચાલુ વર્ષે પણ યશ એ ચાર વીઘામાં આશરે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો કરી કેળના 3 હજાર રોપાનું વાવેતર કર્યું હતું.પાક ચાલુ થયો ત્યારે 350 રૂપિયા મણ કેળાનો ભાવ હતો. યુવા ખેડૂત ખુશ હતો કે ચાલુ વરસે કેળાના સારા ભાવ આવશે અને ૨ પૈસાની બચત થશે પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. કેમકે કેળાના ભાવ સીધા 350 રૂપિયા મણથી 60થી 70 રૂપિયા મણ થઇ ગયા છે. જેને લઇ ખેડૂતને રોપણીનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો.ખેતરમાંથી કેળાની લૂમ રોડ પર લાવવાની મજુરી એક લૂમ દીઠ 10 રૂપિયા જેટલી થઇ ગઈ છે.

પોતાના રોકાણનું 25 ટકા વળતર પણ હજુ મળ્યું નથી

ખેડૂત યશ પ્રજાપતિએ કહ્યું હતું કે, ખેડૂતોને પોતાના રોકાણનું 25 ટકા વળતર પણ હજુ મળ્યું નથી ત્યાં ખેડૂત પાકને જમીનદોસ્ત કરવા મજબુર બની ગયો છે. આ હાલત માંગરોળ તાલુકામાં છેવાડે આવેલા ગીજરમ ,આંક્ડોદ , કોસાડી , કંટવા સહિત તમામ કેળા પકવતા ખેડૂતોની છે. ખેડૂતોને પાકની રોપણીથી લઇ પાક તૈયાર થાય ત્યાં સુધી 130 રૂપિયા જેટલો એક છોડ નો ખર્ચ થાય છે. એક લૂમ પર એવરેજ 22થી 25 કિલો કેળાનો પાક થાય છે. કેળા લેવા કોઈ વ્યાપારી તૈયાર નથી. વ્યાપારીઓ કેળાની ગુણવત્તા પર સવાલ ઉભા કરી દેતા હોય છે અને ખેડૂતોને આપવું હોય તો આપો નહીં તો રહેવા દો જેવા જવાબ આપે છે.ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા કે આ વ્યાપારીઓ અને દલાલો સાથે મળી ખેડૂતો નું શોષણ કરી રહ્યા છે.


  • Follow us on: