અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઈંગ વિમાન ક્રેશ થયા બાદ DGCA દ્વારા ઉડાન પહેલા બોઇંગ 787-8/9 વિમાનની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઈન્ડિયાનું નિવેદન સામે આવ્યું છે. એર ઈન્ડિયાએ યાત્રીઓ અને તેના ક્રુ મેમ્બરોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. બીજી તરફ એર ઈન્ડિયાના બોઇંગ 787-8/9 વિમાનની તપાસમાં 33 માંથી 26 વિમાનોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જેથી આ 26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી છે.


26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ DGCA દ્વારા બોઈંગના તમામ ડ્રીમ લાઈનર વિમાનોની મોટા પાયે કડક તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. DGCA દ્વારા એર ઈન્ડિયાને આદેશ આપવામાં આવ્યો છે કે, તે 15 જૂન 2025ની મોડી રાતથી ભારતથી ઉડાન ભરનારા વિમાનોની ઉડાન પહેલા જ વિશેષ તપાસ પ્રક્રિયાને અનિવાર્ય રૂપે લાગુ કરે તેમજ વિમાનોની ઉડાન પહેલા કેટલીક મહત્વની ટેકનિકલ તપાસનો પણ નિર્દેશ આપ્યો હતો.હવે એર ઈન્ડિયાના 33માંથી 26 બોઈંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ થઈ જતાં આ 26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી છે.

બોઈંગ 777 વિમાનોની પણ સુરક્ષા તપાસ કરાશે

બીજી તરફ એર ઈન્ડિયાના બોઈંગ 777 વિમાનોની પણ સુરક્ષા તપાસ કરાશે. વાઈડ બોડી વિમાનોના ઓપરેશન્સમાં 15 ટકાનો ઘટાડો થશે. 20 જૂનથી 15 જુલાઈ સુધી આ ઘટાડો અમલમાં રહેશે. ફ્લાઈટ રદ થવાથી પ્રભાવિત થનારા મુસાફરો માટે પણ એર ઈન્ડિયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુસાફરો વિના મૂલ્યે તારીખો શેડ્યૂલ્ડ કરીને મુસાફરી કરી શકશે. અમદાવાદની ઘટના બાદ મુસાફરોમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવા અંગે ભય ફેલાયો હતો. પરંતુ 26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળતા હવે વિના સંકોચે મુસાફરો મુસાફરી કરી શકશે.


  • Follow us on: