અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 135 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે.અત્યાર સુધીમાં કુલ 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું. 12 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે,5 પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે.જ્યારે 17 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે.
જિલ્લા દીઠ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી
ડો.રાકેશ જોશીએ જિલ્લા દીઠ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં વડોદરાના 13, અમદાવાદના 30, આણંદના 9, ભરૂચના 4, ગાંધીનગરના 5, મહેસાણાના 5, ખેડાના 10, સુરતના 3, અરવલ્લીના 2, દીવના 4 તથા બોટાદ, જુનાગઢ, અમરેલી, મહીસાગર, ભાવનગર, ગીર સોમનાથ, નડિયાદ અને રાજકોટના 1 તેમજ અન્ય રાજ્યોમાં ઉદેપુરના 2, જોધપુરના 1, પટનાના 1 અને મહારાષ્ટ્રના 4 મૃતકોના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે
ડો.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે.