અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. તેમના DNA મેચ થયા બાદ તેમનો નશ્વર દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આજે અમદાવાદથી તેમનો નશ્વર દેહ રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. રાજકોટ ખાતેના તેમના નિવાસ સ્થાને નશ્વર દેહને અંતિમ દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી પડી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ રાજકોટ ખાતે વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં અને તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.


અંતિમ ક્રિયા પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

રાજકોટ ખાતેના નિવાસ સ્થાને વિજય રૂપાણીને અંતિમ ક્રિયા પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમની સ્મશાન યાત્રી નીકળી હતી. રસ્તામાં અનેક લોકોએ પુષ્પવર્ષા કરીને રૂપાણીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. વિજયભાઈ તુમ અમર રહો જેવા નારા લાગ્યા હતાં. તેમના નશ્વર દેહને રાજકોટ ખાતેના રામનાથપરા સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો. સ્મશાનમાં વિજય રૂપાણી સર લખેલી ફોટા સાથેની રંગોળી બનાવી લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્મશાનમાં પણ ભારત માતા કી જય ના નારા લાગ્યા હતાં.તેમના પુત્ર ઋષભ રૂપાણીએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો.

અંતિમ યાત્રામાં રાજકોટના લોકો સ્વયંભૂ જોડાયા

વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં રાજકોટના લોકો સ્વયંભૂ જોડાયા હતાં. અંતિમ યાત્રાના રૂટમાં આવતા તમામ મકાનો અને દુકાનોમાંથી લોકોએ તેમના પર પુષ્પવર્ષા કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વરસાદ વરસી રહ્યો હતો તે છતાંય લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતાં. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી. સ્મશાનમાં વિધિ પૂર્ણ કર્યા બાદ વિજય ભાઈનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો.


  • Follow us on: