અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માત ટ્રેલર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા થયો હતો. બાઈક સવાર યુવક શાંતિપુરા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતા એક ટ્રેલરના ચાલકે તેને અડફેટે લીધો હતો.


ટ્રેલર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઈક સવાર યુવકનું મોત

ટક્કર એટલી જોરદાર હતી કે યુવક બાઈક પરથી ફંગોળાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત ટ્રેલરને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

આ સમગ્ર અકસ્માતની ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જેને પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર ભારે વાહનો દ્વારા થતા અકસ્માતો અને રસ્તા પરની સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે.


  • Follow us on: