અમદાવાદમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી થઈ. ગતસપ્તાહે રાજ્યભરમાં જીવનના પથદર્શક એવા ગુરુને સન્માન આપનાર ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે થોડા જ દિવસમાં શહેરમાં ગુરુ પદને લાંછન લગાવનાર કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી. AMC સંચાલિત શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો બનાવ બન્યો છે. આ બનાવને પગલે વિર્ધાર્થીનીના પરિવાર સહિત લોકોમાં શિક્ષક સામે ભારે આક્રોશ જોવા મળ્યો. આ મામલામાં વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા ABVP પણ મેદાને પડ્યું છે.


શાળા સામે ABVPનો ઉગ્ર વિરોધ

શહેરમાં જમાલપુરની સરકારી શાળા વિવાદમાં આવી છે. જમલાપુરમાં આવેલ AMC સંચાલિત શાળામાં શિક્ષક ભાન ભૂલ્યો અને વિદ્યાર્થીની સાથે ગેરવર્તણૂંક કરી. સરકારી શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને છેડતી કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીએ આ બાબતની પરિવારને જાણ કરતા આ કિસ્સાના ઉગ્ર પડઘા પડ્યા. શિક્ષકની કરતૂતથી વિદ્યાર્થીનીનો પરિવાર રોષે ભરાયો હતો. છેડતી કરનાર આવા લંપટ શિક્ષકને સજા મળે માટે ABVP એ શાળા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

શિક્ષક સામે કડક કાર્યવાહીની માગ

આજે ABVPના કાર્યકરો જમાલપુરની સરકારી શાળાએ પહોંચ્યા હતા ત્યારે ગેટ ના ખોલાતા મોટો ઉહાપોહ મચ્યો હતો. સ્કૂલના વલણથી નારાજ ABVP દ્વારા શાળાના ગેટ બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો. જેને લઈને સ્કૂલ દ્વારા પોલીસ બોલાવી વિરોધ કરતા ABVPના કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કરાયો. વિદ્યાર્થીની છેડતીના કેસમાં પોલીસ ફરિયાદ નોંધવા ABVPએ માગ કરી છે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં ABVP કાર્યકર્તાએ કહ્યું કે આવા લંપટ શિક્ષકોને શાળામાંથી તગેડી દેવા જોઈએ. ફરીવાર કોઈ શિક્ષક આવું કામ ના કરે માટે શિક્ષક સામે કડક પગલા લેવાય તેવી અમારી માગ છે.

  • Follow us on: