અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા સંવેદનશીલ ગણાતા દરિયાપુર પંથકમાં ગત મોડી રાત્રે જૂથ અથડામણની એક ગંભીર ઘટના સામે આવી છે. દરિયાપુરની નાની અલીની પોળ પાસે એક જ કોમના બે જૂથો કોઈ નજીવી બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ અચાનક આમને-સામને આવી ગયા હતા. સામાન્ય વાગ્યુદ્ધે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષો વચ્ચે હિંસક ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.


લાકડી-ઘોકા ઉછળ્યા અને પથ્થરમારો થયો

સ્થાનિક સૂત્રો અને પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, બંને જૂથના લોકોએ એકબીજા પર લાકડીઓ, લાકડાના ઘોકા અને પથ્થરો વડે હિંસક હુમલો કર્યો હતો. પોળની અંદર અચાનક થયેલા પથ્થરમારાના કારણે આસપાસના રહીશોમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ બંને જૂથો વચ્ચે થયેલા આડેધડ હુમલા અને પથ્થરમારાની ઘટનામાં કુલ 4 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે નોંધી ક્રોસ ફરિયાદ, કેટલાકની ધરપકડ

ઘટનાની જાણ થતાં જ દરિયાપુર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ મામલે દરિયાપુર પોલીસે બંને પક્ષોની દલીલો સાંભળીને કાયદેસરની ક્રોસ ફરિયાદ નોંધી છે. પોલીસે કુલ 8 જેટલા હુમલાખોરો વિરુદ્ધ રાયોટિંગ અને હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલામાં સામેલ કેટલાક તોફાની તત્વોની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે પરંતુ તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


આ પણ વાંચો-----     Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ

  • Follow us on: