અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલી EWS આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે મકાનો પચાવી પાડવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આવાસ યોજનાના બંધ પડેલા મકાનોના તાળા તોડીને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે કબજો જમાવી લેવામાં આવ્યો હોવાનો સળગતો આક્ષેપ થયો છે. આ મામલે ફરિયાદ ઉઠતાં જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.
17 જેટલા મકાનોને નિશાન બનાવવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, અમદાવાદની એક EWS આવાસ યોજનામાં લાંબા સમયથી બંધ પડેલા અંદાજે 17 જેટલા મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કેટલાક શખ્સોએ આ બંધ મકાનોના તાળા તોડીને તેના પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લીધો હતો. આ અંગેની સત્તાવાર ફરિયાદ મળતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.













