મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દ્વિ-દિવસીય ‘નેશનલ અર્બન કોન્ક્લેવ' તેમજ 'મેયરલ સમિટ'નો પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ અર્બન કોન્કલેવ અને મેયરલ સમિટ અમદાવાદ માટે વિશેષ છે કેમ કે આજે સમગ્ર દેશ વડાપ્રધાનના માર્ગદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે શહેરી વિકાસની તેમની તત્કાલીન વિચારધારાને આધુનિક વિકાસ સાથે કેવી રીતે જોડવી તે અંગે આ કોન્કલેવમાં ચિંતન-મંથન કરવામાં આવશે.


રિવરફ્રન્ટ દેશના અન્ય શહેરો માટે અર્બન ટ્રાન્સફોર્મેશનનું આદર્શ મોડેલ બન્યો

અમદાવાદના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન અંગેની ઐતિહાસિક બાબતોનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરદાર સાહેબે ૧૯૨૪ થી ૧૯૨૮ દરમિયાન અમદાવાદ નગરપાલિકાના અધ્યક્ષ તરીકે પોતાની વહીવટી જવાબદારીની શરૂઆત કરી હતી.લગભગ ૧૦૦ વર્ષ પહેલાં તેમણે વહીવટી કુશળતા અને સુવ્યવસ્થિત અર્બન પ્લાનિંગ દ્વારા આદર્શ શહેરનું નિર્માણ કરીને દેશને સિટીઝન-સેન્ટ્રિક લોકલ એડમિનિસ્ટ્રેશનનું અનોખું મોડેલ આપ્યું હતું. અમદાવાદનો વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ દેશના અન્ય શહેરો માટે અર્બન ટ્રાન્સફોર્મેશનનું આદર્શ મોડેલ બન્યો છે.

અમદાવાદ અર્બન મોબિલિટી માટે એક આદર્શ બની રહ્યું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન મોબિલિટી અંગે કહ્યું કે, નરેન્દ્ર મોદી દેશના એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે શહેરો માટે સફળ બીઆરટીએસ જનમાર્ગ મોડેલનો વિચાર આપ્યો હતો. આજે મેટ્રો અને હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ્સના માધ્યમથી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટમાં અમદાવાદ અર્બન મોબિલિટી માટે એક આદર્શ બની રહ્યું છે. છેલ્લાં બે દાયકામાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્યમાં શહેરીકરણનું સ્તર ઘણું વધ્યું છે અને અમૃત 2.0 તથા સ્વચ્છ ભારત મિશન-2.0 જેવા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરી માળખાને પરિવર્તિત કરવાનું કાર્ય થઈ રહ્યું છે.


  • Follow us on: