અમદાવાદમાં અનેક લોકો ભાડાના મકાનમાં રહે છે. શહેરમાં બહારગામથી નોકરી ધંધે આવનારા લોકો સ્થાઈ થયાં છે. ત્યારે શહેરમાં ભાડુઆતને મકાન ભાડે આપ્યા બાદ તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ભાડુઆતોને મકાન ભાડે આપતા પહેલા પોલીસ વેરિફિકેશન કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી પોલીસને જણાય છે કે, ગુનેગાર તત્વો શહેરના રહેણાંક વિસ્તારમા ગુપ્ત રીતે આશરો મેળવીને જાહેર સલામતિ અને શાંતિનો ભંગ કરી શકે છે. આગામી દિવસોમાં ગુરૂનાનક જયંતી, દેવ દિવાળી, નાતાલ, સરદાર પટેલ જન્મ જયંતી સહિતના તહેવારો હોવાથી શહેરમાં સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેથી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભાડેથી મકાન આપતા મકાન માલિકો પર કેટલાક નિયંત્રણો મુકવાનું પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.

તમામ વિગતો પોલીસને આપવી પડશે

પોલીસ કમિશ્નરે જાહેરનામામાં જણાવ્યું છે કે, શહેરમાં મકાન, દુકાન, ઔદ્યોગિક એકમો, ઓફિસો, ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજના માલિકો પોતાની પ્રોપર્ટી ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને ફરજિયાત જાણ કરવી પડશે. ભાડે આપેલા મકાનની વિગત, ભાડુઆત અને જે વ્યક્તિએ મકાન માલિકને ભાડુઆતની મુલાકાત કરાવી હોય તે અંગેની માહિતી પોલીસને આપવી પડશે. આ વિગતોમાં મકાન માલિકનું નામ, ભાડે આપેલા મકાનની વિગત, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાનનું માસિક ભાડુ આ તમામ વિગતો પોલીસને આપવી પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.


  • Follow us on: