બાવળામાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ પડયો. વરસાદના કારણે બાવળામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અને વરસાદે વિરામ લીધા બાદ પણ આ વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નહીં. પાણી બેદરકારી મામલે ત્યાંના સ્થાનિકોએ પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી. નપા પ્રમુખના ઘરે લગભગ 40થી 50 જેટલા લોકો પાણી કામગીરીને લઈને રજૂઆત કરવા ગયા હતા. પરંતુ આ દરમિયાન ટોળાંમાના કેટલાક શખ્સ વધુ ઉગ્ર બન્યા અને પ્રમુખના મકાનના બારી દરવાજા પછાડી હોબાળો મચાવ્યો. ટોળાની આ હિંસક પ્રવૃત્તિ સામે નપા પ્રમુખે પોલીસમાં ફરિયાદ નોંધાવી.


બળીયાદેવના રહીશો પહોંચ્યા નપા પ્રમુખના ઘરે પહોંચ્યા

પ્રાપ્ત માહિતી મુજબ બાવળાના બળીયાદેવ વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. અને એટલે જ બળીયાદેવના 40 થી 50 જેટલા રહીશો ભરાયેલા પાણીને મુદ્દે રજૂઆત નગરપાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના આવાસ પર પહોંચ્યા હતા. ત્યારે નપા પ્રમુખ ઘરમાં હાજર નહોતા. પ્રમુખની ગેરહાજરી હોવા છતાં બળીયાદેવના રહીશોએ તેમના મકાનના બારી દરવાજા પછાડયા. જેના કારણે ઘરમાં હાજર નપાના પરીવારજનો ભયભીત થયા. ટોળાના ઉગ્ર દેખાવ જોઈ નપા પ્રમુખના અન્ય પરીવારજનો ડરના મારે બહાર ના નીકળ્યા. એક શખ્સ દ્વારા સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી.

નપા પ્રમુખે હોબાળો મચાવનાર ટોળા સામે કરી ફરિયાદ

પોલીસનો કાફલો તરત જ નપા પ્રમુખના રહેઠાણ પર પહોંચી ગયો. પોલીસે 40 થી 50 વ્યક્તિના ટોળાને દૂર કર્યા અને પાલિકા ખાતે આ બાબતે રજૂઆત કરવાની જાણ કરી. બાદમાં આ બાબતની નપા પ્રમુખ પ્રજ્ઞાબહેનને જાણ થતા તેમણે હોબાળો મચાવનાર ટોળા સામે ફરિયાદ નોંધાવી. જેમાં બે યુવકના નામ જોગ 40 થી 50 વ્યક્તિના ટોળા સામે પોલીસ ફરીયાદ નોંધી.આ યુવકના નામ રાજપૂત યુવક કૃણાલ સી પરમાર અને મયુર ડાભી હોવાનું સામે આવ્યું. જો કે આ ટોળું પાણી મામલે રજૂઆત કરવા પાલિકા પહોંચ્યું ત્યારે ચીફ ઓફિસર દ્વારા ધોળકા પ્રાંત અધિકારી પાસે જવા જાણ કરી. તેમણે કહ્યું કે બાવળા નગરપાલિકાનો મુદ્દો વિધાનસભાનો મુદ્દો હોવાથી પ્રાંત અધિકારી પાસે જઈ ફરિયાદ કરો. બાવળિયાના રહીશો પાણી મામલે ચલક-ચલાણી જેવો ધાટ થયો છે.

  • Follow us on: