અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા તેમજ એરપોર્ટ તરફ જવા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 53 વર્ષ જૂના સુભાષબ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા આ જર્જરિત બ્રિજને સંપૂર્ણપણે નવો બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધા બાદ, હવે તોડી પાડવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરીના પ્રથમ ચરણમાં બ્રિજના સુપરસ્ટ્રક્ચરના મહત્વના એવા ત્રણ ગંજાવર સ્પાનને સાબરમતી નદીના પટમાં સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવ્યા છે.


નવો બ્રિજ બનાવવાની કડક ભલામણ 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બ્રિજના પિલ્લરોમાં ગંભીર તિરાડો અને માળખાકીય ખામીઓ સર્જાતા આઈઆઈટી રૂર્કી અને આઈઆઈટી ગાંધીનગરના નિષ્ણાતોએ રિપેરિંગને બદલે નવો બ્રિજ બનાવવાની કડક ભલામણ કરી હતી. 

હયાત બ્રિજના ત્રણ સ્પાન તોડી પડાયા

નિષ્ણાતોના ગ્રીન સિગ્નલ બાદ કોર્પોરેશન દ્વારા હયાત બ્રિજના ત્રણ સ્પાન તોડી પડાતા હવે બાકીનું અન્ય તમામ લોખંડ અને સિમેન્ટનું જૂનું સ્ટ્રક્ચર પણ આગામી દિવસોમાં તબક્કાવાર ઉતારી લેવામાં આવશે. સમગ્ર જૂનો ઢાંચો હટાવ્યા બાદ બ્રિજનું પાયામાંથી જ નવનિર્માણ કરાશે.

નવો બ્રિજ આગામી 2 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થશે

હવે અમદાવાદીઓની સુવિધા માટે આ નવો બ્રિજ આગામી 2 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરી દેવાનું આયોજન છે. આ ભવ્ય પ્રોજેક્ટ પાછળ ₹૨૩૧ કરોડથી વધુનો તોતિંગ ખર્ચ અંદાજવામાં આવ્યો છે. નવો બ્રિજ માત્ર મજબૂત જ નહીં, પરંતુ ભવિષ્યના ટ્રાફિક અને ૧૦૦ વર્ષના આયુષ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે. જોકે, આગામી 1 વર્ષ સુધી વાહનચાલકોને ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે, પરંતુ ભવિષ્યમાં આ રૂટ પર ટ્રાફિકની મોટી સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો

  • Follow us on: