અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા તેમજ એરપોર્ટ તરફ જવા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 53 વર્ષ જૂના સુભાષબ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા આ જર્જરિત બ્રિજને સંપૂર્ણપણે નવો બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધા બાદ, હવે તોડી પાડવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરીના પ્રથમ ચરણમાં બ્રિજના સુપરસ્ટ્રક્ચરના મહત્વના એવા ત્રણ ગંજાવર સ્પાનને સાબરમતી નદીના પટમાં સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવ્યા છે.
નવો બ્રિજ બનાવવાની કડક ભલામણ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બ્રિજના પિલ્લરોમાં ગંભીર તિરાડો અને માળખાકીય ખામીઓ સર્જાતા આઈઆઈટી રૂર્કી અને આઈઆઈટી ગાંધીનગરના નિષ્ણાતોએ રિપેરિંગને બદલે નવો બ્રિજ બનાવવાની કડક ભલામણ કરી હતી.













