અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર પહેલાં જ બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. આ પરિસ્થિતિમાં દિવાળી દરમિયાન થતા ફટાકડાના પ્રદૂષણ અને ધુમાડાથી સ્વાસ્થ્ય બગડી ન જાય તે માટે તબીબોએ ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. શહેરમાં બદલાતા વાતાવરણને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હોસ્પિટલના આંકડા મુજબ કુલ ઓપીડી દૈનિક 1055 નોંધાઈ છે. વાયરલ ઇન્ફેક્શનના 219 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે.


બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો

સોલા સિવિલમાં રોગચાળાના કેસમાં વધારો છે. ડેન્ગ્યુના 33 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. મેલેરિયાના 16 દર્દીઓ દાખલ છે. ચિકનગુનિયાના 7 કેસ સારવાર હેઠળ છે. ખાસ કરીને બાળકોમાં કેસો વધ્યા છે, જેમાં તેમની ઓપીડી દૈનિક 100ને પાર કરી ગઈ છે અને વાયરલ ઇન્ફેક્શનના કારણે 20થી વધુ બાળકોને એડમિટ કરવાની ફરજ પડી છે.

ફટાકડાના ધુમાડાથી બચવા તબીબોની અપીલ

રોગચાળાની આ સ્થિતિમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના ધુમાડાથી સ્વાસ્થ્ય વધુ જોખમાય નહીં તે માટે તબીબોએ નીચે મુજબની અપીલ કરી છે: ફટાકડા ફૂટતા હોય તેવા સ્થળોએ વડીલો અને બાળકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અસ્થમાના દર્દીઓ: ફટાકડાનો ધુમાડો અસ્થમા (દમ)ના દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આવા દર્દીઓએ ધુમાડાથી બચવા માટે સાવચેતી રાખવી અને દવાઓ નિયમિત લેવી. વૃદ્ધોએ શક્ય હોય તો ફટાકડાના ધુમાડાથી બચવા માટે માસ્ક પહેરવો જોઈએ, કારણ કે ધુમાડો શ્વસનતંત્રને સીધું નુકસાન પહોંચાડી શકે છે. તબીબોએ લોકોને હાલની સ્થિતિમાં બેવડી ઋતુ અને પ્રદૂષણ બંનેથી બચવા માટે પૂરતી કાળજી લેવા ભારપૂર્વક જણાવ્યું છે.


  • Follow us on: