અમદાવાદ નજીકનું બાવળા શહેર હાલ "પાણી નહીં પણ પાણીમાં બાવળા" જેવી કરૂણ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 72 કલાકથી ધોધમાર વરસાદને કારણે આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું છે અને લોકોને ગળાડૂબ પાણીમાં રહેવા મજબૂર થવું પડ્યું છે.


બાવળા શહેર જળબંબાકાર

શહેરની મુખ્ય સોસાયટીઓ જેવી કે સ્વાગત સોસાયટી અને રત્નદીપ સોસાયટી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગઈ છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી પલળી ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સતત ત્રણ ત્રણ દિવસથી ઘરો અને સોસાયટીઓમાં પાણી ભરાયેલા હોવાને કારણે સ્થાનિકો ભયાવહ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે અવરજવર સંપૂર્ણપણે થંબી ગઈ છે. વાહન વ્યવહાર અટકી પડ્યો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા કોલેજો અને વેપાર ધંધા પર પણ તેની અસર પડી છે.

તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ

મહત્વનું છે કે, સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણીના નિકાલ માટે કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે ચોમાસામાં બાવળાને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં ભરી લોકોને આ જળબંબાકારની સ્થિતિમાંથી બહાર કાઢવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.


  • Follow us on: