હાલના આધુનિક જમાનામાં હવે લોકો ઘરે ભોજન કરવાની જગ્યાએ બહાર ભોજન લેવાના શોખીન બની ગયા છે પણ બહારનું ભોજન પોતાના સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારક છે? તેને લઈને મોટો સવાલ છે. કારણ કે અવારનવાર મોટી મોટી હોટલોના ભોજનમાંથી મૃત વંદો અને જીવજંતુઓ મળી આવતા હોય છે. ગ્રાહકો દ્વારા અનેક વખત આ અંગે ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવતા નથી અને માત્ર દંડ ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે.
સંચાલકે મામલો દબાવવા પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ
ત્યારે અમદાવાદ શહેરમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. શહેરમાં વધુ એક હોટલના ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે અને શહેરના વધુ એક નાગરિકને કડવો અનુભવ થયો છે. નિકોલ વિસ્તારમાં આવેલા ખાઉધરા પોઈન્ટમાંથી ભોજનમાં વંદો નીકળ્યો છે. એક ગ્રાહક પોતાના પરિવાર સાથે જમવા ગયો હતો અને તેમને મંગાવેલા સાંભારમાંથી મૃત વંદો નીકળ્યો છે. આ અંગે સંચાલકને જાણ કરતા સંચાલકે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ગ્રાહકે કરી છે. જેથી ગ્રાહકે AMCમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે અને હોટલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
ધોળકાની હોટેલમાં ઠંડા પીણામાંથી જીવાત નીકળી
અગાઉ 6 ઓગસ્ટના રોજ ધોળકાના મફ્લીપુર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મકવાણા અને તેમના મિત્રો એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ નૂરાની હોટલમાં ઠંડુ પીણું પીવા બેઠા હતા અને તેમણે ચેમ્પા પાવર નામનું ઠંડુ પીણું મગાવ્યું હતું. તેમાં કુલ 4 પૈકી એક બોટલમાં તેમને જીવાત જોવા મળી હતી, જેથી તેમણે હોટેલ માલિકને જાણ કરતા હોટલ માલિકે દ્વારા ડીલરને આ બાબતે જાણ કરાઈ હતી. ત્યારબાદ ગ્રાહકે ધોળકા વિસ્તારમાં આવતા ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને પણ ફોન દ્વારા જાણ કરી હતી. ત્યારે ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી જણાવ્યું હતું કે તપાસ કરવાની હૈયાધારણા આપી હતી.