અમદાવાદ શહેરના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના DGP જી. એસ. મલિક અને મનપા કમિશનરે સંયુક્ત રીતે પેલેડિયમ મોલ ચાર રસ્તાની રૂબરૂ મુલાકાત લીધી હતી. મનપા અને ટ્રાફિક વિભાગ દ્વારા આ વિસ્તારમાં ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કરવામાં આવેલા વિશેષ મેનેજમેન્ટનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો આપ્યા હતા.


પેલેડિયમ મોલથી કારગીલ ચાર રસ્તા અને વૈષ્ણોદેવી સુધી ગ્રાઉન્ડ સમીક્ષા

આ ગ્રાઉન્ડ વિઝિટ દરમિયાન DGP જી. એસ. મલિકે પેલેડિયમ મોલ ચાર રસ્તા ખાતે અખતરા તરીકે બંધ કરવામાં આવેલા ક્રોસ રોડ અને કટની સ્થિતિ તપાસી હતી. ત્યારબાદ તેઓએ પેલેડિયમથી કારગીલ ચાર રસ્તા સુધીના સમગ્ર રૂટની વિઝિટ કરી હતી. આ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલ ક્રોસ રોડ અને એસ.જી. હાઇવે પર આવેલા મહત્વના વૈષ્ણોદેવી સર્કલ ખાતે પણ પહોંચીને ટ્રાફિકની વર્તમાન સ્થિતિ અને જંકશન મેનેજમેન્ટની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

ટ્રાફિકનું ભારણ ઘટાડવા પોલીસ-મનપા વચ્ચે સંકલન અને ફેરફારની તૈયારી

નિરીક્ષણ બાદ મીડિયા સાથે વાતચીતમાં DGP જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે કેટલાક ક્રોસ રોડ બંધ કરીને સાઇડ કટ આપવામાં આવ્યા છે, જે જગ્યાઓ પર હજુ પણ મુશ્કેલી જણાય ત્યાં જરૂરિયાત મુજબ યોગ્ય ફેરફાર કરવામાં આવશે. તેમણે વાહનચાલકોની સુવિધા માટે અને પીક અવર્સમાં જામની સ્થિતિ નિવારવા પોલીસ અને મનપા વચ્ચે સતત સંકલન જાળવી રાખીને કામ કરવા માટેની ખાસ સલાહ આપી હતી.


આ પણ વાંચો - Ahmedabad : RTI કરીને તોડપાણી કરતા કથિત પત્રકારોને હાઈકોર્ટે ધોઈ નાખ્યા, 800 અરજીઓ જોઈ ભડકી અદાલત..!


  • Follow us on: