અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગરના સંત વિનોબાનગરમાં સરકારી ક્વાર્ટર્સના બ્લોક નંબર 17 માં એક ગંભીર દુર્ઘટના બની છે. અહીં જર્જરિત હાલતમાં રહેલા સરકારી ક્વાર્ટર્સની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ગેલેરી તૂટી પડવાથી તેમાં હાજર રહેલા અથવા તેની નીચેના ભાગમાં રહેલા 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત થયેલા આ ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તુરંત સંત વિનોબાનગર ખાતે પહોંચી ગઈ હતી. તાત્કાલિક બચાવ કામગીરી માટે ફાયર વિભાગે 2 ગાડીઓ મોકલી આપી હતી અને યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું હતું. ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરીને કાટમાળમાં ફસાયેલા તેમજ અન્ય જોખમી ભાગોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર વિભાગે જોખમી બિલ્ડિંગમાંથી 35થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું, જેના કારણે કોઈ મોટી જાનહાનિ થતી અટકી હતી.













