રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ થયા બાદ તેમને સરકારી કાર્યક્રમોમાંથી બાદ રાખવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય પર્વ પર રાજ્યમંત્રી બચુ ખાબડને પડતા મુકાયા છે. રાજ્યભરના વિવિધ જિલ્લાના કાર્યક્રમોમાંથી તેમની બાદબાકી કરવામાં આવી છે. સામાન્ય વહિવટ વિભાગે જાહેર કરેલી યાદીમાં તેમનું નામ નથી.


વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં પણ આમંત્રિત કરાયા નહોતા

દાહોદમાં મનરેગા કૌભાંડમાં રાજ્ય મંત્રી બચુ ખાબડના બંને પુત્રીની સંડોવણી બહાર આવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંને જણાને જામીન પર મુક્ત કરાયા હતાં. પરંતુ અન્ય કેસમાં ફરીવાર તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્ય મંત્રી બચુ ખાબડ કેબિનેટની બેઠકમાં સતત ગેરહાજર જોવા મળ્યા હતાં. તેમને દાહોદ ખાતે યોજાયેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં પણ આમંત્રિત કરાયા નહોતા. તેઓ છેલ્લે ગોધરામાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સાથે એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતાં.

કોઈપણ ભ્રષ્ટાચારી મંત્રી હોય કે અધિકારી તેની હકાલપટ્ટી નિશ્ચિત

બીજી તરફ આગામી 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમોમાં સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં તેમને સ્થાન આપવામાં આવ્યું નથી. તેમને સ્વાતંત્ર્ય પર્વ પર રાજ્યના વિવિધ જિલ્લાના કાર્યક્રમોમાં બાદ રાખવામાં આવ્યા છે. જેથી મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાંથી બાદબાકી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પ્રકારે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ ભ્રષ્ટાચારી મંત્રી હોય કે અધિકારી તેની હકાલપટ્ટી નિશ્ચિત છે.


  • Follow us on: