દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે જાનમાલની મોટી ખુવારી થઈ છે. જ્યારે જમ્મુના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનાની કરુણતા હજી તાજી છે. ત્યારે વૈષ્ણોદેવીમાં પણ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 33 લોકોનાં કરુણ મોત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ આ કુદરતી આફતનો ભોગ બન્યા હતા.


પૂજ્ય મોરારીબાપુએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી

આ ઘટનામાં 33 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ કરુણાંતિકાથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા જ હાલ પોલેન્ડમાં રામકથા કરી રહેલા પૂજ્ય મોરારીબાપુએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ કરુણાંતિકામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. મોરારીબાપુએ માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે.

મૃતકોના પરિવારજનો માટે હનુમંત સંવેદના રાશિ કરી અર્પણ

તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂ.4,95,000ની હનુમંત સંવેદના રાશિ અર્પણ કરી છે. આ સહાય રાશિ સ્થાનિક સરકારના માધ્યમથી મૃતકોના પરિવારો સુધી પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ આ મુશ્કેલ સમયમાં તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને ભગવાનને એવી વિનંતી કરી છે કે તેઓ પીડિત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. મોરારીબાપુ દ્વારા આ અર્પણ કરાયેલી સહાય એ તેમની સંવેદનશીલતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.


  • Follow us on: