અમદાવાદમાં ચોમાસા પહેલા પ્રિ મોન્સૂન કામગીરીના મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે. શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. શહેરના અંડરબ્રિજ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. તંત્રની બેદરકારીના કારણે શહેરમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હોવાની વિગતો સામે આવી છે. શહેરના ઘી કાંટા અને ઓઢવ વિસ્તારમાં ગંભીર બેદરકારીએ બે લોકોના જીવ લીધા છે.


સ્ટ્રીટ પોલ પર કરંટ લાગતા યુવકે ત્યાં જ દમ તોડ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે રાજસ્થાનના જસરાજ નામના યુવકનું મોત નિપજ્યું હતું. રોડ પર વરસાદી પાણી ભરાતા ફૂટપાથ પર આ યુવક ચાલતો હતો. સ્ટ્રીટ પોલ પર કરંટ લાગતા યુવકે ત્યાં જ દમ તોડ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. રોડ પર પાણી ભરાઈ જવાથી સ્ટ્રીટ પોલ પરથી કરંટ ઉતરતો હતો.

ઘરમાં ભરાયેલા દોઢ ફૂટ પાણીમાં પડી જતા મોત

બીજી તરફ શહેરના ઓઢવ વિસ્તારમાં સ્થિત મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યાં ઘરના મોભી પોતાના દીકરા માટે નાસ્તો લેવા જતાં ઘરમાં ભરાયેલા દોઢ ફૂટ પાણીમાં પડી ગયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જીતુભાઈ પંડ્યા નામના વ્યક્તિનું પડી જવાથી મોત નિપજ્યું હતું.


  • Follow us on: