અમદાવાદમાં ગત વર્ષની રથયાત્રામાં ડીજેના ભારે અવાજથી ગજરાજ બેકાબૂ બન્યા હતાં. ખાડિયા ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી. પોલીસ અને મહાવતોએ ગજરાજોને કાબુમાં કર્યા હતાં. આ ઘટનાને લઈને ચાલુ વર્ષની આગામી રથયાત્રામાં નવી ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. હવે રથયાત્રામાં ગજરાજો પર ટેકનોલોજીથી નજર રાખવામાં આવશે. જેના કારણે ભક્તોની ભીડમાં કોઈપણ પ્રકારની અરાજકતા ફેલાય નહીં અને શાંતિપૂર્ણ રીતે ભગવાનના રથ નિજ મંદિર સુધી પહોંચી શકે.
અંબાડી પર આધુનિક સાધનો લગાવવામાં આવશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ વખતે 149મી રથયાત્રા નીકળશે. પોલીસ તંત્ર દ્વારા રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો નિર્ણય લીધો છે. ભગવાનની નગરચર્યા દરમિયાન ઘણીવાર અચાનક અવાજ કે ભીડના કારણે ગજરાજ બેકાબૂ બનવાની ઘટનાઓ સામે આવે છે. જેની સામે આ વર્ષે આવી ઘટનાઓ પર તાત્કાલિક કાબુ મેળવવા અને ગજરાજોની મુવમેન્ટ પર પળેપળની મુવમેન્ટ રાખવા માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 18 ગજરાજો પર હાઈટેક ટ્રેકિંગ સિસ્ટમ લગાવાશે. અંબાડી પર આધુનિક સાધનો લગાવવામાં આવશે.













