અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિર ખાતે સાબરમતી વિધાનસભાની વિશેષ ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપીને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે ભાજપના 'બુથ શક્તિ મોડલ'ને સંગઠનનો અસલી પાયો ગણાવ્યો હતો અને પાયાના કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી હતી.


'મારી કદર નથી થતી એવું લાગે' CM એ કાર્યકર્તાઓને આપી શીખ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કાર્યકર્તાઓને ટકોર કરતા અને સમજાવતા કહ્યું કે, ઘણીવાર આપણને એમ થાય કે મારી તો કોઈ કદર જ નથી થતી, પણ યાદ રાખજો કે, હોદ્દો જુદી વસ્તુ છે અને કાર્ય જુદી વસ્તુ છે. તેમણે હળવા અંદાજમાં એવું પણ ઉમેર્યું કે, ઘણા કાર્યકર્તાઓ એવા હોય છે, જે અમે આવીએ ત્યારે જ જોશથી 'ભારત માતા કી જય' બોલાવે છે, અને પછી ધારાસભ્યને પૂછીએ તો કહે કે એ તો તમે આવ્યા એટલે આવ્યા હતા!

મોદી-શાહના સંગઠન કાર્યના વખાણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના સંગઠન કૌશલ્યની પ્રશંસા કરતા કહ્યું કે, બુથ સશક્ત કરવાનો અર્થ એ છે કે બુથના દરેક ઘરમાં આપણી ઓળખ હોવી જોઈએ. ભાજપ માત્ર ઇલેક્શન માટે કામ કરતી પાર્ટી નથી. તેમણે અમિત શાહ સાથે થયેલી ચર્ચાનો હવાલો આપીને જણાવ્યું કે, જનતા તરફથી જે પણ ફરિયાદો આવે, તેને વાંચીને તુરંત નિકાલ કરવો એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. મોટી પાર્ટીમાં નાના-મોટા મતભેદ રહેવાના, પણ ભારત માતા કી જય સાંભળતા જ આપણે સાથે મળીને કામ પર લાગી જઈએ છીએ.

પર્યાવરણ પર આપ્યો ભાર: ગાંધીનગર લોકસભા ગ્રીન કવરમાં ટોપ પર

રાજકીય ચર્ચાની સાથે મુખ્યમંત્રીએ ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો હતો. કોરોના કાળને યાદ કરતા તેમણે કહ્યું કે, પૈસા ગમે તેટલા હોય પણ હોસ્પિટલમાં ઓક્સિજન અને જગ્યા ન મળે તો શું કામના? અત્યારે તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચે છે, જો તે 52 ડિગ્રી થશે તો મોટી તકલીફ પડશે. તેમણે ગર્વભેર જણાવ્યું કે, આખા દેશમાં સૌથી વધુ ગ્રીન કવર ક્યાંય વધ્યું હોય તો તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વધ્યું છે. આપણે ઉદ્યોગ અને પર્યાવરણ બંનેને સાથે રાખીને આગળ વધવાનું છે.


આ પણ વાંચો - Ahmedabad News: વસ્ત્રાલમાં ચોમાસાની ખેંચ વચ્ચે યોજાયો 'પર્જન્ય યજ્ઞ', વરુણદેવને રીઝવવા આહુતિઓ અપાઈ!


  • Follow us on: