દેશભરમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ખાસ કરીને દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ તકેદારીના ભાગરૂપે, મોડી રાત્રે મંદિર પરિસરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલનપુરથી પોલીસની વિશેષ ટીમો રાત્રીના સમયે અંબાજી ખાતે પહોંચી હતી. આ ટીમોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડનો સમાવેશ થતો હતો.
અંબાજી મંદિર પરિસરમાં ચેકીંગ હાથ ધરાયું
ટીમો દ્વારા મંદિર સંકુલના સમગ્ર પરિસરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના જવાનોએ મંદિરના પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ્સ, પૂજા સ્થળો, ભોજનાલય અને અન્ય સંવેદનશીલ ગણાતા સ્થળો સહિત આખા મંદિર સંકુલની બારીકાઈથી તપાસ કરી હતી. ડોગ સ્ક્વોડના તાલીમ પામેલા શ્વાનોએ વિવિધ જગ્યાઓ પર સુંઘીને કોઈપણ શંકાસ્પદ વસ્તુની હાજરી અંગે સંકેત આપવા પ્રયાસ કર્યો હતો.













