ભાદરવી પૂનમના મહાકુંભ મેળામાં એક દુઃખદ ઘટના બની છે. જેમાં મંગળવારે રાત્રે ગબ્બર ખાતે પગથિયા પરથી પડી જવાથી એક વૃદ્ધ શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે. આ ઘટના સાથે મેળામાં છેલ્લા બે દિવસમાં અકસ્માતને કારણે મૃત્યુઆંક બે થયો છે. મૃતક વૃદ્ધ વિરમગામ તાલુકાના વતની હતા અને તેઓ પોતાના ગામથી અંબાજી માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ ગબ્બર ખાતે પગપાળા જઈ રહ્યા હતા.


આજે રાતે રસ્તા પરથી પડી જતા વૃદ્ધનું મોત નીપજ્યું

આ દરમિયાન રાત્રિના સમયે અચાનક વીજળી ગુલ થઈ જતા અંધારાને કારણે તેઓ પગથિયા ચૂકી ગયા અને નીચે પડી જવાથી તેમને ગંભીર ઈજા થઈ. આ ઘટનામાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. આસપાસ હાજર રહેલા લોકોએ તાત્કાલિક વૃદ્ધને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ ફરજ પરના હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક વૃદ્ધની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોમવારે કરંટ લાગવાથી એક વ્યકિતનું થયુ હતુ મોત

ઉલ્લેખનીય છે કે આ ઘટનાના એક દિવસ પહેલા એટલે કે સોમવારે માકંડચંપા ખાતે પણ એક વ્યક્તિનું કરંટ લાગવાથી મોત થયું હતું. આ બે દુર્ઘટનાઓ મેળામાં ધીમી ગતિએ પણ જોખમી પરિસ્થિતિઓ ઊભી કરી રહી છે. આ ઘટનાઓ મેળાના આયોજકો અને તંત્ર માટે એક ગંભીર ચેતવણી છે કે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વધુ સઘન પગલાં લેવામાં આવે. ખાસ કરીને રાત્રિના સમયે અને ભીડવાળા વિસ્તારોમાં. શ્રદ્ધાળુઓએ પણ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું અને સાવધાની પૂર્વક આગળ વધવું જરૂરી છે.


  • Follow us on: