અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેને લઈને વિદ્યાનગર સોસાયટીમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ઘરોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે. પાલિકાની પ્રિમોન્સૂનની નબળી કામગીરી પ્રથમ વરસાદમાં જ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે રાજુલાના પીપાવાવ ધામ નજીક 22 શ્રમિક ફસાયા હતા. ત્યારે ફસાયેલા આ તમામ લોકોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ શ્રમિકો ભારે પાણીના પ્રવાહ વચ્ચે ફસાયા હતા.
અમરેલીમાં સતત વરસાદથી રસ્તાઓ બંધ
તમને જણાવી દઈએ કે અમરેલીમાં સતત વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને તેના કારણે રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઇવે બંધ થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો અવરજવર માટે બંધ થયો છે. ગોરડકા નજીક કોઝ વે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણીના પ્રવાહમાં કોઝ વે પર એક ટ્રક પણ ફસાઈ છે. ત્યારે ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ધાતરવડી ડેમ 2ના 7 દરવાજા 3-3 ફૂટ ખોલાયા
અમરેલીના રાજુલા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પ્રથમ વરસાદમાં જ ધાતરવડી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ધાતરવડી ડેમ 2ના 7 દરવાજા 3-3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. પ્રથમ વરસાદમાં જ ધાતરવડી ડેમ 2માં 20000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને જેને પગલે આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ઉછેયા, રામપરા, હિંડોરણા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ભારે વરસાદથી નદીઓ પણ ગાંડીતૂર બની છે. ઈંગોરાળા, ક્રાંકચ, નાના લીલીયા, ટીંબડી સહિતના ગામે જળબંબાકારની સ્થિતિ છે.