અમરેલી જિલ્લાના એક એવા સરદાર પ્રેમી કે,જેમણે સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વમાંથી પ્રેરિત થઈ લોહપુરુષની ૫ હજાર પ્રતિમા સ્થાપવાનો સંકલ્પ કર્યો છે, સરદારના રાષ્ટ્ર માટેના ત્યાગ, બલિદાન અને રાષ્ટ્રને એક તાતણે બાંધવાના ન ભૂતો, ન ભવિષ્યતિ યોગદાનથી ખાસ યુવા પેઢી પ્રેરિત થાય તે માટે રચનાત્મક કાર્યનો એક અનોખો યજ્ઞ શરૂ કર્યો છે.સરદાર પટેલના આદર્શોમાંથી લોકો પ્રેરણા મેળવે તે માટે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં 2400 જેટલી પ્રતિમાઓની સ્થાપના કરી ચૂક્યા છે.


સરદાર પટેલની 8 ફૂટ ઊંચી 5000 પ્રતિમાઓ મુકવાનો સંકલ્પ

તેમણે સરદાર પટેલની 147મી જન્મજયંતીએ 147 પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એક વીડિયો જોઈને આઘાત લાગ્યો અને દેશમાં સરદાર પટેલની 8 ફૂટ ઊંચી 5000 પ્રતિમાઓ મુકવાનો સંકલ્પ કર્યો.આપબળે અને માત્ર ત્રણ ચોપડી ભણેલા બાબરા તાલુકાના ચમારડી ગામના ઉદ્યોગપતિ જે સામાજિક કાર્યો માટે પણ એટલા જ જાણીતા છે તેવા ગોપાલભાઈ વસ્તરપરા- ચમારડીએ સરદારના રાષ્ટ્ર એકીકરણ માટેના અભૂતપૂર્વ કાર્ય અને તેમના વિચારોને જન જન સુધી લઈ જવા માટે તન મન અને ધનથી સમર્પિત ભાવે કાર્ય કરી રહ્યાં છે.

યુવાનો અજાણ હોવાનું જોવા મળ્યું હતું

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા આઠેક વર્ષથી સરદાર ગાથા અને વિચારોને લોકો સુધી લઈ જવા માટે રચનાત્મક કાર્યોના માધ્યમથી કામ કરી રહ્યા છીએ, આ દરમિયાન એક વીડિયો જોવા મળ્યો હતો જેમાં ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે, સરદાર પટેલનું રાષ્ટ્ર નિર્માણમાં જે ન ભૂતો, ન ભવિષ્યથી યોગદાન છે, તેના વિશે યુવાનો અજાણ હોવાનું જોવા મળ્યું હતું, એટલે જ સરદારના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે વધુ કાર્ય કરવાની પ્રેરણા જાગી.સરદાર પટેલ ન હોત તો આજે સુરત, જૂનાગઢ કે દેશના અન્ય કોઈ ભાગમાં જવા માટે કેટલા વિઝા લેવા પડત ! સરદાર ન હોત તો દેશની શું સ્થિતિ હોત તે કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ છે !


  • Follow us on: